(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3
સુરેન્દ્રનગર ખાતે છેલ્લા 27 વર્ષથી વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના સ્વાવલંબન માટે ચલાવતા સ્વ. ચંદ્રાબેન મધુસુદન શાહ સીવણ તાલીમ કેન્દ્ર, હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર, વિવેક રાજગરીયા પ્રેરિત રાધે શ્યામ કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રની 13મી બેન્ચ ત્રિમાસિક બેન્ચની પૂર્ણાહુતિ તારીખ 30 મંગળવારે સાંજે 4.30 થી 6 દરમિયાન કરવામાં આવેલ.
કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપુરા સાહેબે કરેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વઢવાણના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર ગાયત્રી માતાના ઉપાસક પ. પૂ. શ્રી સ્વામી સદાનંદ (ઝાલાવાડનાં ઈતિહાસવિદ્ ડો. ઇન્દ્રવદન આચાર્ય - પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી - `માડી'નાં સુપુત્ર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એ ઉપરાંત શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ચેતનભાઇ ત્રિવેદી (એકલવ્ય સ્કૂલ), જાણીતાં લેખક, પત્રકાર અને પૂ. ગુરુદેવ પૂ. શ્રી માડીનાં શિષ્ય ડો. મનોજ પંડ્યા, પ્રજ્ઞાચક્ષુ રીનાબેન જસાણી, એડવોકેટશ્રી ધવલભાઈ પાઠક, શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ (વઢવાણ નગરપાલિકાના પૂર્વ કર્મચારી અને સામાજીક કાર્યકર), શ્રી અશ્વિનભાઈ પારેખ, શ્રી રજનીકાંત ખાટડીયા (જૈન અગ્રણી) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સર્વે તાલીમાર્થી બહેનોને મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તાલીમાર્થી બહેનોને શૈક્ષણિક કીટ સન્માનપૂર્વક અર્પણ કરવામાં આવેલ હતી. સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ નિર્ધાર સંસ્થાની હકારાત્મક સેવાકીય પ્રવૃતિની અનુમોદના કરી હતી .
તાલીમાર્થી બહેનોએ ત્રણ માસ દરમિયાનના તાલીમના અનુભવો રજૂ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાપક રાજેશભાઇ રાવલે કર્યું હતું જ્યારે કાર્યક્રમની સફળતા માટે આનંદ રાવલ તથા નિર્ધાર ટીમના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

