અમદાવાદ તા.5 શ્રી વિશ્વનંદીકર જૈન સંઘના આંગણે આત્મકલ્યાણ અને તપ આરાધનાનો અદ્ભુત માહોલ સર્જાયો છે. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઉદયપ્રભ સૂરીશરજી મહારાજા, પંન્યાસ પ્રવર સમર્પણપ્રભ વિજયજી મ.સા. તથા પ્રવર્તિની વીરતીધરાશ્રીજી મ.સા., પ્રવર્તિની વસંતપ્રભાશ્રીજી મ.સા. અને કાવ્યરત્ના શ્રીજી મ.સા. આદિ 50થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પ્રેરક નિશ્રામાં 100થી પણ વધુ આરાધકોએ સિદ્ધિતપના સામૂહિક પચ્ચખાણ લઈને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે.
આ તપમાં 9 વર્ષના બાળ આરાધકથી લઈને 80 વર્ષના વડીલો જોડાયા છે.
44 દિવસની કઠોર આરાધના અને સંઘ એકતાનો સંકલ્પ
સિદ્ધિતપની 44 દિવસની આરાધના દરમિયાન તપસ્વીઓ 36 ઉપવાસ અને 8 બિયાસણા કરશે. તપના પ્રારંભના એક દિવસ પૂર્વ તમામ આરાધકોએ શક્રસ્તવ અભિષેક કરી તપ અને સંઘ એકતાના દ્રઢ સંકલ્પ કર્યા હતા.
10 વર્ષ પછી આચાર્ય ભગવંતનું આગમન અને જ્ઞાનગંગા
સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ મણિયારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત 10 વર્ષના લાંબા અંતરાલ બાદ રાજનગરમાં પધાર્યા હોવાથી સંઘમાં ભારે ઉત્સાહ છે. હાલ દરરોજ સવારે 'જ્ઞાનસાર' અને 'શાંતસુધારસ' જેવા મહાન ગ્રંથો પર પ્રવચન માળા ચાલી રહી છે, જેમાં બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ધર્મલાભ લઈ રહ્યા છે.

