કેન્દ્રીય કર્મચારીઓનો સબ્રનો બાંધ તૂટ્યો! ૮માં પગાર પંચ સમક્ષ મૂકી ૯ મોટી માંગણીઓ, શું સરકાર OPS પાછી લાવશે?
8માં પગાર પંચ (8th Pay Commission) ની આતુરતાથી રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ધીરજ હવે ખૂટી રહી છે. પગાર વધારો અને પેન્શનના મુદ્દે કર્મચારી સંગઠનોએ હવે સરકાર સામે મોરચો ખોલી દીધો છે. દેશના લાખો સરકારી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી સંસ્થા NC-JCM (સ્ટાફ સાઈડ) એ પગાર પંચ સમક્ષ પોતાની 9 મુદ્દાની માંગણીઓની યાદી રજૂ કરી છે.
૧ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ લખેલા એક કડક પત્રમાં, NC-JCM ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આઠમાં પગાર પંચના સભ્ય સચિવ પંકજ જૈનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “પગાર પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ૧૮ પ્રશ્નોની પ્રશ્નાવલી (Questionnaire) માં સુધારાની જરૂર છે. કર્મચારીઓનું માનવું છે કે વર્તમાન ફોર્મેટમાં ઘણા મહત્વના મુદ્દાઓ છૂટી ગયા છે.”
જૂની પેન્શન યોજના (OPS) સૌથી મોટી માંગ
કર્મચારીઓની સૌથી પહેલી અને મુખ્ય માંગ જૂની પેન્શન યોજના (OPS) ને ફરીથી લાગુ કરવાની છે. NC-JCM એ સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓ NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) કે તાજેતરમાં જાહેર કરાયેલી UPS (યુનિફાઇડ પેન્શન સ્કીમ) થી સંતુષ્ટ નથી. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ ‘કોન્ટ્રિબ્યુટરી પેન્શન’ ના પક્ષમાં નથી અને તેમને CCS (પેન્શન) નિયમો હેઠળ જૂની ‘નોન-કોન્ટ્રિબ્યુટરી પેન્શન’ જ જોઈએ છે. આ મુદ્દે કર્મચારીઓ હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.
મહિલા કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ જોગવાઈ
આ વખતે પગાર પંચ સમક્ષ કેટલીક એવી માંગણીઓ મૂકવામાં આવી છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી:
મહિલાઓ માટે સમર્પિત સેક્શન: પહેલીવાર મહિલા કર્મચારીઓ માટે અલગ સેક્શનની માંગ કરવામાં આવી છે. જેમાં કાર્યસ્થળ પર સુરક્ષા, મેટરનિટી બેનિફિટ, મેન્સ્ટ્રુઅલ લીવ (Menstrual Leave), ચાઈલ્ડ કેર લીવ (CCL) અને વર્કપ્લેસ ઇક્વિટી જેવા સંવેદનશીલ મુદ્દાઓ સામેલ કરવા સૂચન અપાયું છે.
પેન્શનરોના અધિકારો: પેન્શનરો માટે અલગ વિભાગ બનાવવાની માંગ કરાઈ છે. જેમાં પેન્શનમાં વધારો, કમ્યુટેડ વેલ્યુની વહેલી બહાલી અને નિવૃત્તિ પછીના લાભોમાં સમાનતા (Parity) જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ટેકનિકલ ફેરફારો અને સમયમર્યાદામાં વધારો
કર્મચારી સંગઠનોએ રજૂઆત કરી હતી કે પોતાની વાત રાખવા માટે ૫૦૦ શબ્દોની મર્યાદા ખૂબ ઓછી છે. આ ફરિયાદને ધ્યાને લઈને પગાર પંચે હવે શબ્દ મર્યાદા વધારીને પ્રતિ વિષય ૧૦,૦૦૦ કેરેક્ટર કરી દીધી છે. સાથે જ ડોક્યુમેન્ટ એટેચમેન્ટની સાઈઝ પણ ૨ MB થી વધારીને ૬ MB કરવામાં આવી છે.
વધુમાં, NC-JCM એ માંગ કરી છે કે અલગ-અલગ વિભાગોની સમસ્યાઓ સમજવા માટે મેમોરેન્ડમ જમા કરાવવાની છેલ્લી તારીખ વધારીને ૩૧ મે, ૨૦૨૬ કરવામાં આવે. તેમનું તર્ક છે કે દેશભરમાં ફેલાયેલા સંગઠનો સાથે ચર્ચા કરવામાં સમય લાગે છે. ઓનલાઈન સબમિશનની સાથે ઈ-મેલ અને હાર્ડ કોપી દ્વારા પણ અરજીઓ સ્વીકારવાની માંગ કરવામાં આવી છે જેથી ટેકનિકલ ખામીને કારણે કોઈની વાત રહી ન જાય.
સરકાર પર દબાણ વધ્યું
આઠમું પગાર પંચ અત્યારે કરોડો લોકોના જીવનધોરણ સાથે જોડાયેલો મુદ્દો બની ગયો છે. જો સરકાર આ ૯ મુદ્દાની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેશે, તો તે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જીત ગણાશે. ખાસ કરીને OPS અને મહિલાઓ માટેની રજાઓના મુદ્દે સરકાર શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

