નેપાળમાં જળપ્રલયથી ભારે તબાહી: પૂર અને ભૂસ્ખલનમાં ૫૭૯ ના મોત, ૩૨૦ ભારતીયો સહિત ૧૯૨૪ લોકો લાપતા; તિબેટ સરહદે તળાવ તૂટતાં નવું સંકટ
પાડોશી દેશ નેપાળમાં કુદરતી આફતે ભારે વિનાશ વેર્યો છે. કાલમુખા પૂર અને સતત ભૂસ્ખલનને કારણે નેપાળમાં અત્યાર સુધીમાં ૫૭૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે પૂરના પાણીમાં વહી ગયેલા અને કાટમાળ નીચે દટાયેલા ૩૨૦ ભારતીય નાગરિકો સહિત કુલ ૧૯૨૪ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ સાંપડ્યા છે.
આ દરમિયાન તિબેટ-નેપાળ સરહદ પર સ્થિત એક મોટું તળાવ તૂટવાના કારણે અને ચીન દ્વારા આપવામાં આવેલી નવી પૂરની ચેતવણીને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
ભોટેકોશી નદીનું રૌદ્ર સ્વરૂપ અને જિલ્લાઓમાં વિનાશ
હિમાલયના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે ભોટેકોશી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભોટેકોશી નદીમાં આવેલા જળબંબાકારને કારણે નેપાળના રાસુવા, નુવાકોટ અને ધાડિંગ જિલ્લાઓમાં ભારે તબાહી મચી છે. પૂરના પાણીમાં ભારે માત્રામાં કાદવ અને પહાડી કાટમાળ વહીને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અસંખ્ય મકાનો અને માળખાકીય સુવિધાઓ જમીનદોસ્ત થઈ ગઈ છે.
સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ચિત્વન, નવલપરાસી પૂર્વ, ધાડિંગ, ગોરખા, નુવાકોટ, તાનાહુન, રાસુવા અને નવલપરાસી પશ્ચિમ જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવ્યા છે. માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં રાહત અને બચાવ કાર્યમાં પણ ભારે અડચણો આવી રહી છે.

લાપતા પ્રવાસીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ
આ હોનારતમાં માત્ર નેપાળના સ્થાનિક લોકો જ નહીં પરંતુ ત્યાં ફરવા ગયેલા મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ભોગ બન્યા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારોમાં અંદાજે ૧,૦૦૦ થી વધુ પ્રવાસીઓ ગુમ થયા હોવાની આશંકા છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ગુમ થયેલા પ્રવાસીઓમાં ૩૨૦ જેટલા ભારતીય નાગરિકો સમાવિષ્ટ છે. આ સિવાય અન્ય દેશોના પર્યટકો પણ આ આફતમાં ફસાયા છે, જેમાં અમેરિકાના ૬૫, યુક્રેનના ૫૩ અને મલેશિયાના ૫૧ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ભારતીય સફારખાનું અને સ્થાનિક તંત્ર ગુમ થયેલા ભારતીયોની શોધખોળ અને સંપર્ક સાધવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યું છે.
તિબેટ સરહદે તળાવ તૂટતાં ચીન દ્વારા ચેતવણી
નેપાળ જ્યારે અગાઉથી જ પૂરની આફત સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે તિબેટ-નેપાળ સરહદ પર આવેલું એક વિશાળ કુદરતી અવરોધક તળાવ (Barrier Lake) તૂટી જતાં સ્થિતિ વધુ નાજુક બની છે. ચીનના જળ મંત્રાલયને ટાંકીને પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, બેઇજિંગે નેપાળ સરકારને નવા ફ્લેશ ફ્લડ (અચાનક આવતા પૂર) ના જોખમો વિશે સત્તાવાર રીતે માહિતગાર કર્યા છે.

ચીન તરફથી જણાવાયું છે કે, આ સરહદી તળાવમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે અને તે છલકાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાંથી પાણીનો વધુ પ્રવાહ આવશે તો આ તળાવ સંપૂર્ણપણે તૂટી શકે છે. જો આમ થશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો અતિશય પ્રવાહ ધસી આવશે, જેનાથી નેપાળના સરહદી ગામડોમાં વધુ વિનાશ થવાની ભીતિ સેવાઈ રહી છે.
બચાવ કામગીરી અને માનવતાવાદી સંકટ
નેપાળી સેના, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સતત ખરાબ હવામાન અને તૂટેલા પુલોના કારણે બચાવ ટુકડીઓને દૂરના વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. પીવાના શુદ્ધ પાણી, ખોરાક અને તબીબી સુવિધાઓની ભારે અછત ઊભી થઈ છે. સ્થિતિને જોતાં નેપાળ સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે.

