'રાઘવ, તું ડરી ગયો છે…': રાઘવ ચઢ્ઢાની પોસ્ટ પર AAP નેતાઓના આકરા પ્રહાર
આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક કલહ હવે સપાટી પર આવી ગયો છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદેથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી, જેનો જવાબ આપતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ અને અનુરાગ ઢાંડાએ તેમના પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
રાઘવની પોસ્ટ અને વળતો પ્રહાર
રાઘવ ચઢ્ઢાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી, ‘આમ આદમી’ ને મારો સંદેશ.” રાઘવની આ ટિપ્પણી બાદ પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અનુરાગ ઢાંડાએ ખૂબ જ કડક શબ્દોમાં વળતો પ્રહાર કર્યો. ઢાંડાએ લખ્યું કે, “રાઘવ, છેલ્લા કેટલાક વર્ષોથી તું ડરી ગયો છે. તું મોદી વિરુદ્ધ બોલતા ગભરાય છે અને દેશના સાચા મુદ્દાઓ પર મૌન સેવે છે. જે ડરી ગયો તે…”
સૌરભ ભારદ્વાજનું નિવેદન: “જે ડરી ગયો તે મરી ગયો”
પાર્ટીના અન્ય કદાવર નેતા સૌરભ ભારદ્વાજે પણ એક વીડિયો સંદેશ શેર કરીને રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “રાઘવ ભાઈ, મેં તમારો વીડિયો જોયો, પણ મારે એટલું જ કહેવું છે કે ‘જો ડર ગયા, સમજો મર ગયા’. અમે કેજરીવાલના સિપાહી છીએ અને નિર્ભયતા એ જ અમારી ઓળખ છે. જો કોઈ મોદીથી ડરી જાય, તો તે દેશ માટે શું લડશે?”
પક્ષની વફાદારી અને ભૂમિકા પર સવાલ
અનુરાગ ઢાંડાએ રાઘવ પર એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે ગુજરાતમાં પાર્ટીના કાર્યકરોની ધરપકડ થઈ રહી હતી અથવા જ્યારે CEC વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યો હતો, ત્યારે રાઘવ ચઢ્ઢાએ અવાજ ઉઠાવ્યો નહોતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે સંસદમાં બોલવા માટે મર્યાદિત સમય મળે છે, તેમાં કાં તો દેશ બચાવવા માટે સંઘર્ષ કરી શકાય અથવા તો એરપોર્ટની કેન્ટીનમાં સમોસા સસ્તા કરાવવાની વાતો કરી શકાય. પાર્ટીનું માનવું છે કે રાઘવ ઘણી વખત પક્ષના વલણથી અલગ રહીને ભાજપ સરકાર સામે નરમ પડ્યા છે, જે હવે આ વિવાદનું મુખ્ય કારણ બન્યું છે.

