Dailyhunt
રાજકીય ગરમાવો! આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા; શું ભાજપમાં જોડાશે? જાણો શું છે હકીકત

રાજકીય ગરમાવો! આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા; શું ભાજપમાં જોડાશે? જાણો શું છે હકીકત

રાઘવ ચઢ્ઢા પર AAP ની મોટી કાર્યવાહી! રાજ્યસભામાં બોલવા પર પણ લાગ્યો પ્રતિબંધ; જાણો કેમ અચાનક પક્ષમાં શરૂ થયો કલહ

ભારતીય રાજનીતિમાં અત્યારે સૌથી વધુ ચર્ચા જે નામની થઈ રહી છે તે છે રાઘવ ચઢ્ઢા. આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભામાં પોતાના ડેપ્યુટી લીડર તરીકે રાઘવ ચઢ્ઢાને હટાવીને સૌને ચોંકાવી દીધા છે. પાર્ટીએ આ અંગે રાજ્યસભા સચિવાલયને જાણ પણ કરી દીધી છે કે હવેથી રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલવા માટે સમય ફાળવવો નહીં.

આ સાથે જ AAP એ સાંસદ અશોક મિત્તલને રાજ્યસભામાં પાર્ટીના નવા ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવાની ભલામણ પત્ર દ્વારા કરી છે.

શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈ રહ્યા છે?

રાઘવ ચઢ્ઢાને પદ પરથી હટાવવાના આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આ અટકળોને સદંતર ફગાવી દીધી છે. સંજય સિંહે સ્પષ્ટ કર્યું હતું કે રાઘવ ચઢ્ઢા ભાજપમાં જઈ રહ્યા હોવાની વાતો પાયાવિહોણી છે અને તેમાં કોઈ સત્ય નથી.

સંજય સિંહે વધુમાં ઉમેર્યું હતું કે ચઢ્ઢા હજુ પણ પાર્ટીનો અભિન્ન હિસ્સો છે અને નેતૃત્વ સાથે તેમના સંબંધો મજબૂત છે. રાજ્યસભામાં તેમનું નોમિનેશન, પંજાબમાં તેમની જવાબદારીઓ અને કાયદાકીય બાબતોમાં મળેલી રાહત આ તમામ બાબતો સૂચવે છે કે તેઓ પાર્ટી સાથે જોડાયેલા જ છે. પક્ષ પલટાની અફવાઓ માત્ર પાયાવિહોણી છે.

જાહેરમાં ઓછી દેખાતી હાજરી અને રહસ્ય

છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાઘવ ચઢ્ઢા સાર્વજનિક કાર્યક્રમો, મીડિયા બ્રીફિંગ અને સોશિયલ મીડિયા પરથી લગભગ ગાયબ જોવા મળ્યા છે. ખાસ કરીને જ્યારે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાહત મળી, ત્યારે પણ રાઘવ ચઢ્ઢાની કોઈ પ્રતિક્રિયા કે હાજરી જોવા મળી નહોતી. આ ‘લો પ્રોફાઈલ’ ને કારણે જ તેઓ ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો.

આ બાબતે સંજય સિંહે સ્વીકાર્યું હતું કે રાઘવ ચઢ્ઢા પોતે જ વધુ સારી રીતે સમજાવી શકે કે તેઓ જાહેર જીવનમાં કેમ ઓછા સક્રિય છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાં નેતાઓની સક્રિયતામાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, તેને પક્ષ પલટાનો સંકેત માની લેવો ભૂલભરેલું છે.

પાર્ટીમાં બધું સમુસૂતર છે?

સંજય સિંહે અંતમાં ટકોર કરી હતી કે જો ક્યારેય રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે, તો તેઓ પોતે તેનો વિરોધ કરનાર પ્રથમ વ્યક્તિ હશે. હાલના તબક્કે આવા કોઈ સંકેત નથી. જોકે, ડેપ્યુટી લીડર પદેથી હટાવવા અને સંસદમાં બોલવા પર પ્રતિબંધ મૂકવો એ દર્શાવે છે કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોય તેવું નકારી શકાય નહીં. આગામી દિવસોમાં આ મામલે રાઘવ ચઢ્ઢા પોતે શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day