Dailyhunt
ઉનાળાની ગરમીમાં લૂ થી બચવું છે? જાણો કયા લક્ષણો દેખાય તો તરત જ થઈ જવું સાવધાન

ઉનાળાની ગરમીમાં લૂ થી બચવું છે? જાણો કયા લક્ષણો દેખાય તો તરત જ થઈ જવું સાવધાન

સાવધાન! લૂ લાગતા પહેલા શરીર આપે છે આ ખાસ સંકેતો, ભૂલથી પણ ન કરતા અવગણના

જેમ જેમ ગરમીનો પારો વધે છે, તેમ તેમ આપણું શરીર તેની આંતરિક સિસ્ટમને ઠંડી રાખવા માટે સંઘર્ષ કરે છે. જ્યારે બહારનું તાપમાન એટલું વધી જાય કે શરીર પરસેવા દ્વારા પોતાને ઠંડુ રાખવામાં અસમર્થ બને, ત્યારે 'લૂ' લાગવાની સ્થિતિ ઉભી થાય છે. મેડિકલ ભાષામાં તેને 'હીટ સ્ટ્રોક' કહેવામાં આવે છે.

આરોગ્ય નિષ્ણાતો અને ‘ક્લેવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ અનુસાર, લૂ સીધી નથી લાગતી, પણ તે પહેલા શરીર કેટલાક ચોક્કસ સંકેતો દ્વારા ચેતવણી આપે છે.

શરૂઆતના લક્ષણો: શરીરની પહેલી ચેતવણી

લૂ લાગવાની શરૂઆત ખૂબ જ સામાન્ય લક્ષણોથી થાય છે, જેને લોકો ઘણીવાર થાક માની લે છે. શરૂઆતમાં વ્યક્તિને હળવો ચક્કર આવવા, શરીરમાં નબળાઈ લાગવી અને માથું ભારે થવું જેવા અનુભવ થાય છે. આ ઉપરાંત, ઉબકા આવવા (ઉલટી જેવું થવું) અથવા પેટમાં ગરબડ થવી એ પણ એક સંકેત છે કે તમારા શરીરની ગરમી સહન કરવાની મર્યાદા પૂરી થઈ રહી છે.

સ્થિતિ ક્યારે ગંભીર બને છે?

જો શરૂઆતના સંકેતો પર ધ્યાન આપવામાં ન આવે, તો સ્થિતિ ઝડપથી બગડી શકે છે. ગંભીર તબક્કામાં લક્ષણો નીચે મુજબ હોય છે:

હૃદયના ધબકારા વધવા: હૃદય લોહીને ઠંડુ કરવા માટે વધુ ઝડપથી પંપ કરવા લાગે છે.

શ્વાસ લેવામાં તકલીફ: સામાન્ય કરતા વધુ ઝડપથી શ્વાસ લેવા પડે છે.

ત્વચામાં ફેરફાર: ત્વચા એકદમ લાલ થઈ જાય છે અથવા અસામાન્ય રીતે સૂકી અને ગરમ લાગે છે.

પરસેવો બંધ થવો: આ સૌથી ખતરનાક સંકેત છે. જ્યારે શરીરનું પાણી ખલાસ થઈ જાય, ત્યારે પરસેવો આવવાનું બંધ થઈ જાય છે, જેનો અર્થ છે કે શરીરનું ‘કુલિંગ મશીન’ ફેઈલ થઈ ગયું છે.

માનસિક સ્થિતિ: વ્યક્તિને ભ્રમ થવા લાગે છે, બોલવામાં લથડાય છે અથવા વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે. આ સ્થિતિમાં વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

લૂ લાગવાના મુખ્ય કારણો

લૂ લાગવા પાછળ માત્ર સૂર્યપ્રકાશ જ જવાબદાર નથી. તેના અન્ય કારણોમાં:

ખૂબ જ તેજ ધૂપમાં લાંબો સમય રહેવું.

બંધ અને ગરમ જગ્યાએ (જ્યાં હવાની અવરજવર ન હોય) રહેવું.

ગરમીમાં વધુ પડતી શારીરિક મહેનત કે કસરત કરવી.

શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) હોવી.

કોણે વધુ સાવધ રહેવાની જરૂર છે?

ગરમી દરેકને હેરાન કરે છે, પરંતુ કેટલાક લોકો માટે તે વધુ જોખમી છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને જેમને પહેલેથી જ ડાયાબિટીસ કે હૃદય રોગ જેવી બીમારી છે, તેમને લૂ જલ્દી લાગી શકે છે. આ ઉપરાંત, જે મજૂરો કે ખેડૂતો ખુલ્લા આકાશ નીચે કામ કરે છે, તેમણે ખાસ કાળજી રાખવી જોઈએ.

બચવા માટે શું કરવું?

જો તમે અથવા તમારી આસપાસ કોઈમાં આવા લક્ષણો દેખાય, તો તરત જ આ પગલાં ભરો:

હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી, લીંબુ શરબત, છાશ કે નાળિયેર પાણી પીતા રહો.

ઠંડી જગ્યાએ જાઓ: તુરંત જ તડકામાંથી હટીને એસી અથવા પંખા નીચે આરામ કરો.

કપડાંની પસંદગી: ઉનાળામાં હળવા રંગના અને સુતરાઉ (કોટન) કપડાં પહેરો, જે પરસેવો સોષી શકે અને હવા પસાર થવા દે.

શરીરને ઠંડુ કરો: જો કોઈને લૂ લાગી હોય, તો તેના શરીર પર ઠંડા પાણીના પોતા મૂકો અથવા તેને ઠંડા પાણીથી સ્નાન કરાવો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day