
Singrauli Tribal Man Assault: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ગરીબ આદિવાસી યુવક જીવની ભીખ માંગતો રહ્યો, કરગરતો રહ્યો, પરંતુ હેવાન બનેલા સુરક્ષાકર્મીઓનું દિલ ન પીગળ્યું. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર આક્રોશની લાગણી જન્માવી છે, કારણ કે આ માત્ર શારીરિક હિંસાનો મામલો નથી, પરંતુ એક લાચાર વ્યક્તિ સામે સત્તા અને તાકાતના દુરુપયોગનું પ્રદર્શન છે.
જ્યાં રક્ષણ કરવાની જવાબદારી છે, ત્યાં જ ભક્ષક બનીને તૂટી પડતા લોકોએ સામાજિક નૈતિકતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
પત્નીની નજર સામે જ પતિને હોકી સ્ટીકથી ફટકાર્યો: શું આ છે આપણી ન્યાય પ્રણાલી?
આ કમકમાટીભરી ઘટના જિલ્લાના NCL (નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ) ના નિગાહી કોલ હેન્ડલિંગ પ્લાન્ટ પાસે ઘટી હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર યુવક અન્નેલાલ બૈગા તેની પત્ની સાથે જંગલમાં બળતણ માટે લાકડા વીણવા ગયો હતો. ત્યાં હાજર સિક્યોરિટી ઈન્ચાર્જ એમડી સિંહ અને તેના સાથીઓએ આ દંપતીને પકડી લીધું હતું. સામાન્ય પૂછપરછ કરવાને બદલે, સુરક્ષાકર્મીઓએ કાયદો હાથમાં લઈને યુવક પર બર્બરતા શરૂ કરી દીધી હતી. એક પત્નીની નજર સામે તેના પતિને પશુની જેમ મારવામાં આવે, તે દ્રશ્ય કેટલું ભયાનક હોઈ શકે તેની કલ્પના માત્ર ધ્રુજારી લાવી દે તેવી છે.
“માથું છોડો, બાકીનું બધું તોડી નાખો”: ટોળાની ઉશ્કેરણીજનક વિકૃતિ
વાયરલ થયેલા વીડિયોમાં જે જોવા મળ્યું તે વધુ આઘાતજનક છે. સિક્યોરિટી ઈન્ચાર્જ ગાળો આપતા અન્નેલાલને હોકી સ્ટીકથી નિર્દયતાથી ફટકારી રહ્યો છે. યુવક જમીન પર પડીને કરગરતો રહ્યો કે “પગ પકડું છું, સાહેબ મને ના મારો…” છતાં હુમલાખોરો અટક્યા નહીં. સૌથી વધુ કઠેડામાં ઉભા રહેવા જેવા લોકો એ છે જે આસપાસ ઉભા રહીને તમાશો જોઈ રહ્યા હતા. લોકો બચાવવાને બદલે આરોપીને ઉશ્કેરતા હતા કે ‘માથું છોડો, બાકીનું બધું તોડી નાખો’. શું આપણે એક એવા સમાજ તરફ જઈ રહ્યા છીએ જ્યાં સંવેદના સાવ મરી પરવારી છે? શું લાકડા વીણવા જેવી બાબતે કોઈનો જીવ જોખમમાં મૂકવો વ્યાજબી છે?
પોલીસ એક્શનમાં: ત્રણ સામે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ
આ કરૂણ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. નવા નગર પોલીસ સ્ટેશનમાં સિક્યોરિટી ઈન્ચાર્જ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ અને ST એક્ટ મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. નગર પોલીસ અધિક્ષક ઉમેશ પ્રજાપતિએ પુષ્ટિ કરી છે કે બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે. જોકે, સવાલ એ થાય છે કે શું આવી ઘટનાઓ બન્યા પછી જ પોલીસ જાગશે? શું જે તે સંસ્થાએ પોતાના સુરક્ષાકર્મીઓને શિસ્ત અને માનવીય વર્તનની તાલીમ આપવી અનિવાર્ય નથી?
