અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે, પરંતુ આ જામીન મેળવવા માટે કોર્ટે એક અત્યંત મહત્વની અને આકરી શરત મૂકી છે. કોર્ટે પોતાની બોનાફાઇડ સાબિત કરવા માટે ટ્રાયલ કોર્ટમાં મોટી રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે, જેને તથ્યના વકીલે સ્વીકારી લીધો છે.
ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ પ્રસ્તાવને ગ્રાહ્ય રાખતા તથ્ય પટેલને કુલ 1 કરોડ રૂપિયા ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ રકમ જમા થયા બાદ જ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈ 2023ની રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી જેગુઆર કારે અનેક લોકોને અડફેટે લીધા હતા, જેમાં 9 નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તથ્ય પટેલ લગભગ 2 વર્ષ અને 10 મહિના જેટલો સમય જેલના સળિયા પાછળ વિતાવી ચૂક્યો છે. કાનૂની પ્રક્રિયાની વાત કરીએ તો, હાલમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કેસની ટ્રાયલ નિયમિત રીતે ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીના તમામ આંખે દેખાયા સાક્ષીઓની તપાસ અને જુબાની પૂર્ણ કરી લેવામાં આવી છે. શરતી જામીન મળ્યા હોવા છતાં કોર્ટની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

