પરેશ પરમાર, અમરેલીઅમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી આકાશી આફતે ચારેય તરફ વિનાશ વેર્યો છે. કુદરતી કોપના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં કાદવ-કિચડ ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયા જાતે મેદાનમાં ઉતરી આવ્યા છે અને અસરગ્રસ્ત લોકોના દુઃખમાં સહભાગી બન્યા છે.
માચીયાળા ગામમાં સાંસદે લોકોની રૂબરૂ મુલાકાત લઈને તેમની વેદના સાંભળી હતી. આ દરમિયાન ગ્રામજનોમાં વહીવટી તંત્રની કામગીરી અને મદદ પહોંચાડવામાં થઈ રહેલા વિલંબને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ પોતાની મુશ્કેલીઓ સાંસદ સમક્ષ રજૂ કરી હતી. સાંસદે પણ વહીવટી તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા અંગે ખાતરી આપી હતી.
tv13 સાથેની ખાસ વાતચીતમાં સાંસદ ભરત સુતરિયાએ સમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જનતા હાલ કફોડી હાલતમાં છે અને તેમને તાત્કાલિક અસરથી મદદની જરૂર છે. સરકાર દ્વારા ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને વળતર તેમજ તાત્કાલિક સહાય મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. ગ્રાઉન્ડ ઝીરો પર રહીને લોકોની વચ્ચે જઈને સાંસદ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની હાલ જિલ્લાભરમાં ચર્ચા જાગી છે.

