અમરેલી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ આકાશી આફત વરસી છે. ખાંભા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધાર 8 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડી ગયા છે અને સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
તંત્રની ઘોર બેદરકારી: મોડી રાતથી હાઈવે બંધ છતાં કોઈ ફરક્યું નથીઆ કુદરતી આફત વચ્ચે સરકારી તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે. મોડી રાતથી નેશનલ હાઈવે 351G બંધ હોવા છતાં અને વાસના, ડેડાણ, ત્રાકુડા તથા મોટા બારમણ સહિતના 20 ગામો સંપર્કવિહોણા બન્યા હોવા છતાં હજી સુધી કોઈ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે ગ્રામજનો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.

