ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ જોરમાં છે અને છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી છે. રાજ્ય સરકાર અને હવામાન વિભાગના અહેવાલ અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 138.75 મિમી (આશરે સાડા પાંચ ઇંચ) વરસાદ નોંધાયો છે. જે સિઝનના કુલ સરેરાશ વરસાદના 15.26 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં વરસાદ નોંધાતા અનેક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે.
ભારે વરસાદની અસર રાજ્યની માળખાકીય સુવિધાઓ પર પણ જોવા મળી છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 સ્ટેટ હાઈવે, 76 પંચાયત રસ્તા અને અન્ય 10 રસ્તાઓ સહિત કુલ 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ GUVNLના અહેવાલ મુજબ વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 2,457 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે તંત્રએ ઝડપી કામગીરી કરીને 2336 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દીધો છે. જ્યારે બાકીના 121 ગામોમાં પુનઃસ્થાપનનું કામ ચાલુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે સંબંધિત વિભાગોને સતત સજ્જ રાખવામાં આવ્યા છે.
વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ ક્ષમતાના 64.23 ટકા સુધી ભરાઈ ગયો છે અને તેમાં સતત પાણીની આવક થઈ રહી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે, જેમાંથી 14 ડેમ 70 થી 100 ટકા સુધી ભરાઈ ચૂક્યા છે. અમરેલી જિલ્લાના ધાતરવડી, સુરજવાડી, રાયડી અને ધાતરવડી-2 તેમજ સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સહિત કુલ 5 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 3 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે 6 જુલાઈથી 9 જુલાઈ સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે અને લોકોને પણ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

