જૂનાગઢની પવિત્ર ભૂમિ પર ગિરનાર સંરક્ષણ માટે સનાતન ધર્મના તમામ સંપ્રદાયો એકઠા થયા છે. પર્વત પર થઈ રહેલા અતિક્રમણના વિરોધમાં સાધુ-સંતોએ શક્તિપ્રદર્શન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ આંદોલન માત્ર સંતો પૂરતું મર્યાદિત ન રહેતા, સમગ્ર શહેરના જનજીવન અને વેપારીઓનો પણ તેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.ગિરનાર બચાવો અભિયાનજૂનાગઢમાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા આયોજિત 'ગિરનાર બચાવો' અભિયાન અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં સનાતન ધર્મના વિવિધ અખાડાઓ અને સંપ્રદાયોના સંતોએ એકસૂરે ગિરનારની પવિત્રતા જાળવી રાખવા હાકલ કરી છે. ઝાંસીની રાણી સર્કલ ખાતે યોજાયેલી સભામાં જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને કિન્નર અખાડાના સંતો એક મંચ પર જોવા મળ્યા હતા. મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુની આગેવાનીમાં સમિતિને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે.
ગિરનાર પર્વત પર થઈ રહેલા અતિક્રમણના વિરોધમાં સાધુ-સંતો અને સનાતનીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં પર્વતની ગરિમા જાળવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા કડક માંગ કરવામાં આવી છે.
જૂનાગઢ સજ્જડ બંધઆ આંદોલનને સમર્થન આપવા માટે ભવનાથ તળેટી અને ઝાંઝરડા રોડ સહિતના મુખ્ય વિસ્તારોના વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. વેપારીઓ અને સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં આ મહારેલીમાં જોડાઈને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
તંત્રને એક મહિનાનું અલ્ટીમેટમસાધુ-સંતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા આગામી એક માસમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ એક મહિનાનું અલ્ટીમેટમ તંત્ર માટે સૂચક મનાઈ રહ્યું છે.

