વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં GIDC હેઠળ ₹1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે.
દહેજ પીસીપીઆઈઆર વિસ્તારમાં મુખ્યત્વે રાસાયણિક, ટેક્સટાઈલ, ફાર્મા, ડાઈઝ અને ઈન્ટરમીડીયેટ, ઈજનેરી ઉદ્યોગોના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્તારમાં 1000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ₹274.96 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે.
વડાપ્રધાન દહેજ-2 ઔદ્યોગિક વસાહત માટે 30 એમએલડી (MLD) ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, દહેજ-2 ઔદ્યોગિક વસાહતમાં સુવા પમ્પિંગ સ્ટેશનથી અંતિમ પમ્પિંગ સ્ટેશન Z-93 સુધી રાઇઝિંગ મેઇન સાથે 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક ડ્રેનેજ વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બનશે તેમજ સંકલિત એફ્લુઅન્ટ વહન નેટવર્કને મજબૂતી મળશે.
પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, ક્રોસ ડ્રેનેજ વર્ક, પાણી પુરવઠા નેટવર્ક, કમ્પાઉન્ડ વૉલ, પેવર બ્લોક, વૃક્ષારોપણ અને સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ વિકાસકાર્યોથી ઔદ્યોગિક વસાહતમાં વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. અન્ય પ્રોજેક્ટ્સમાં અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે, સાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત, દહેજ-1 ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવા, પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેઇન-2 નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.
વલસાડમાં ₹169 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણવલસાડ જિલ્લાના સરીગામ ખાતે વડાપ્રધાનશ્રી GIDCના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ અંતર્ગત સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છે, જેનાથી પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં વધારો થશે અને પર્યાવરણ ધોરણોનું અસરકારક પાલન સુનિશ્ચિત થશે. આ પ્રોજેક્ટમાં ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશનિંગ, ટેસ્ટિંગ, ટ્રાયલ રન અને ઓપરેશન, મેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે એચડીપીઈ (HDPE) ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ પમ્પિંગ સ્ટેશનથી લેન્ડફોલ ચેમ્બર અને ઊંડા સમુદ્રમાં નિકાલના સ્થળ સુધી એચડીપીઈ ઑનશોર અને ઑફશોર પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે.

