જીતેશ ચૌહાણ, પોરબંદરચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તાજેતરમાં કેશોદ અને માંગરોળ પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે પોરબંદર જિલ્લાના માધવપુર નજીક આવેલી મધુવંતી ઓજત કોસ્ટલ કેનાલમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ છે. કોસ્ટલ કેનાલની આસપાસ આવેલા ગામો માટે આ પાણી આશીર્વાદ સમાન સાબિત થવાનું હોવાથી સ્થાનિક ધરતીપુત્રોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે.
ખેડૂતો માટે કેમ મહત્ત્વની છે આ કેનાલ?આ કોસ્ટલ કેનાલ આસપાસના અનેક ગામોના કૃષિ ક્ષેત્ર માટે જીવાદોરી સમાન છે. નવા નીર આવવાને કારણે આગામી સમયમાં ખેતી માટે સિંચાઈના પાણીની ચિંતા હળવી થશે, તેમજ ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે. કેનાલ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વધુ આશાવાદી બન્યા છે, જેના કારણે સમગ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.

