Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sabarkantha rain news: હિંમતનગર, ઈડર અને વિજયનગર પંથકમાં વરસાદી અમીછાંટણા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Sabarkantha rain news: હિંમતનગર, ઈડર અને વિજયનગર પંથકમાં વરસાદી અમીછાંટણા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

નીતીન પટેલ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અને નાગરિકો જે ક્ષણની લાંબા સમયથી ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો અંત આવ્યો છે. જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ વિધિવત રીતે પોતાની હાજરી પુરાવી છે. હિંમતનગર, ઈડર અને વિજયનગર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદના અમીછાંટણા થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.
ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મૂડેટી, ઢીંચણિયા, સૂર્યનગર કંપા, ઈશ્વરપુરા, પાંચ ગામડા અને તખતગઢ કંપા સહિતના આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ, વિજયનગર તાલુકાના ભોખરા, ઝેરવદરી, કણાદર અને ખેરવાડા પંથકમાં પણ નોંધપાત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે. જિલ્લા મથક હિંમતનગર સહિત આસપાસના ગાંભોઈ, રાયગઢ, તખતગઢ, ગઢોડા અને હિંમતપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણ આહલાદક બની ગયું છે.
ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ ચાલુ વર્ષે ચોમાસું પાકની વાવણી કરી દીધા બાદ ખેડૂતો વરસાદની તાતી જરૂરિયાત અનુભવી રહ્યા હતા. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે વાવણી નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. તેવામાં આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.
કૃષિ નિષ્ણાતો અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વરસાદને કારણે મુખ્ય ચોમાસું પાક જેવા કે મગફળી અને કપાસને બહુ મોટો ફાયદો થશે. આ ઉપરાંત પંથકમાં મોટા પાયે થતા શાકભાજીના પાક માટે પણ આ વરસાદી પાણી અમૃત સમાન સાબિત થશે, જેથી પાકનો ઉતારો સારો આવવાની આશા જાગી છે. આમ, સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાના આગમનથી મુરઝાતી ખેતીને નવું જીવનદાન મળ્યું છે અને જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati