દેવેન્દ્ર ગડવે, ડાંગડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, પરંતુ આ સુંદરતાની સાથે ગંભીર જોખમો પણ સામે આવી રહ્યા છે. ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે સાપુતારાના પ્રખ્યાત સર્પગંગા તળાવમાં જોખમી નૌકાવિહારના દ્રશ્યોએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ચિંતા પ્રસરાવી છે. સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહેલી આ બોટિંગ સેવા મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે.
તંત્રની બેદરકારી અને સ્થાનિકોનો આક્રોશસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જિલ્લા તંત્ર દ્વારા આવી પરિસ્થિતિમાં બોટિંગ ન કરવા માટે અગાઉ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. છતાં, બોટિંગ સંચાલકો દ્વારા તંત્રના આદેશોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે. ગત રોજ જ એક પ્રવાસી દ્વારા બોટમાંથી તળાવમાં કૂદી પડવાની ઘટના સામે આવી હતી, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ સ્થિતિમાં શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ સાર્વત્રિક રીતે ઉઠી રહ્યો છે.
સુરક્ષા સામે ગંભીર સવાલોપ્રવાસીઓની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી રહી છે. વરસાદ અને ધુમ્મસમાં બોટિંગ કરવાથી અકસ્માત થવાની કે બોટ પલટી જવાની શક્યતા અનેકગણી વધી જાય છે. પ્રવાસીઓ પણ મનોરંજનના મોહમાં જીવના જોખમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, ત્યારે પ્રશાસને તાત્કાલિક અસરથી આ બોટિંગ સેવા બંધ કરાવીને કડક નિયમોનું પાલન કરાવવું અનિવાર્ય બન્યું છે. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવું એ તંત્રની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે.

