Dailyhunt
સુરતમાં નકલી પનીરનો કાળો કારોબાર: લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, પામ ઓઇલ ભેળવાતું હોવાનું આવ્યું સામે

સુરતમાં નકલી પનીરનો કાળો કારોબાર: લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, પામ ઓઇલ ભેળવાતું હોવાનું આવ્યું સામે

દિવ્યેશ પરમાર, સુરતસુરત શહેરમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી અસામાજિક પ્રવૃત્તિઓ ફરી એકવાર સામે આવી છે. થોડા સમય અગાઉ પાંડેસરા વિસ્તારમાં SOG પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી કામગીરીમાં ઝડપાયેલ નકલી પનીરના કૌભાંડમાં હવે રિપોર્ટ આવતા મોટો ધડાકો થયો છે. આ મામલામાં લેબ રિપોર્ટ ફેલ જતાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.
ગત 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં આવેલા પનીરના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. SOG પોલીસ અને SMC ફૂડ સેફ્ટી વિભાગની ટીમે સ્થળ પરથી 1401 કિલોગ્રામ, અંદાજે 3 લાખ રૂપિયાથી વધુની કિંમતનો પનીરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા, જે આ મિશ્રણની પુષ્ટિ કરતા હતા.
આ જથ્થાના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ 25 દિવસ બાદ જાહેર થયો છે. રિપોર્ટમાં પનીરના નમૂના ફેલ ગયા છે અને તેમાં ફેટની માત્રા ખૂબ જ ઓછી હોવાનું તેમજ પામ ઓઇલનું ભેળસેળ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે. અત્યાર સુધી SOG પોલીસ આ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. હવે રિપોર્ટ પોઝિટિવ આવતા, આ નકલી પનીર બનાવનાર અને વેચનાર વેપારી સામે કડક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઊભો કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati