સુરતમાં તાપી નદીના કિનારે થઈ રહેલા ગેરકાયદેસર માટી પુરાણ અને બાંધકામનો મામલો હવે ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા આ દબાણોને કારણે આગામી ચોમાસામાં સુરત શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ પણ તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા વિવાદ વધુ વકર્યો છે.
સુરતના ભાઠા ગામથી શરૂ કરીને તાપી નદીના કિનારાના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર માટી પુરાણ અને પાળા બાંધકામની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કોંગ્રેસ નેતા દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે, તાપી નદીના કેચમેન્ટ એરિયામાં દબાણો વધવાને કારણે નદીની પાણી વહન કરવાની ક્ષમતા ઘટી રહી છે. આ પરિસ્થિતિ જો યથાવત રહેશે, તો સામાન્ય વરસાદમાં પણ સુરતવાસીઓએ પૂરનો સામનો કરવો પડી શકે તેમ છે.
અગાઉ કલેક્ટર કચેરી દ્વારા તપાસના આદેશો અપાયા હતા અને રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો, તેમ છતાં દબાણકર્તાઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે માંગ કરી છે કે ચોમાસું બેસે તે પહેલાં આ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે જેથી જનતાને પૂરના જોખમમાંથી બચાવી શકાય.

