ડિજિટલ ઇન્ડિયાના યુગમાં UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) એ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે. ચાની કીટલીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી, લોકો રોકડના બદલે મફત અને સુરક્ષિત UPI પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ, મફત UPI પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરનારાઓ માટે ભવિષ્યમાં નિયમો બદલાઈ શકે છે. સરકાર એક એવા કાયદાકીય પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જેનાથી કેટલાક ખાસ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગી શકે છે.
કોની પર લાગશે ચાર્જ અને ગ્રાહકો પર શું અસર થશે?હાલમાં જે પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે, તે મુજબ 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.3% થી 0.5% નો MDR લગાવવામાં આવી શકે છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ચાર્જનો બોજ સામાન્ય ગ્રાહકો પર પડશે નહીં. આ ચાર્જ માત્ર એવા જ મોટા વેપારીઓ પર લાગુ થશે જેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયાથી વધુ છે.
સરકાર અને નીતિ ઘડનારાઓ એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે આ નિયમથી નાના દુકાનદારો, છૂટક વેપારીઓ અને સામાન્ય જનતાને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. ગ્રાહકો પહેલાની જેમ જ મફતમાં UPI પેમેન્ટ કરી શકશે.
MDR શું છે અને શા માટે તેની જરૂર છે?MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આ એવી ફી છે જે વેપારીઓ દ્વારા ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ કરવા બદલ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને ચૂકવવામાં આવે છે. અત્યાર સુધી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર આવા ચાર્જ લાગતા હતા (ક્રેડિટ કાર્ડ પર આશરે 1.5%), પરંતુ UPI ને આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
પેમેન્ટ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો લાંબા સમયથી MDR લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા. તેઓનું માનવું છે કે બિલકુલ મફત સર્વિસ આપવાથી કંપનીઓ માટે નવો બિઝનેસ મોડલ ટકાવી રાખવું મુશ્કેલ બની ગયું છે. કમાણી ન થવાના કારણે નવી ટેકનોલોજીમાં રોકાણ અને પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનું કામ ધીમું પડી ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ કુલ સંખ્યામાં માત્ર 4% છે, પરંતુ વેલ્યુમાં તેમનો હિસ્સો 67% જેટલો છે. જો આ સેગમેન્ટ પર MDR લાગુ થાય, તો પેમેન્ટ ઇન્ડસ્ટ્રીને વાર્ષિક 5000 થી 10,000 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.
હાલની પરિસ્થિતિઅત્યારે આ માત્ર એક કાનૂની પ્રસ્તાવ છે. સરકારે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ ચાર્જ ક્યારથી લાગુ થશે કે તેની અંતિમ રકમ શું હશે. જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં ન આવે, ત્યાં સુધી દેશમાં UPI પેમેન્ટ સંપૂર્ણપણે મફત જ રહેશે. સામાન્ય નાગરિકોએ હાલમાં આ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

