માત્ર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા લાઈટ મીડિયમ વ્હીકલ (કાર)ને જ પસાર થવા દેવાય છે. આ બ્રિજવાળા રોડનો લીલાપોર ઉપરાંત, ભદેલી જગાલાલા, ભદેલી દેસાઈપાર્ટી નિયમિતપણે તેમજ છરવાડા, ચીખલા, સરોધી સહિતના 15 જેટલાં ગામોના લોકો શોર્ટ કટ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. તાજેતરમાં ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરે કારણે અત્રેનો જૂનો હયાત બ્રિજ તહેસ-નહેસ થઈ ગયો છે.ખાડો પડી જતાં જૂનો બ્રિજ જોખમી બન્યોલીલાપોર તરફના ભાગે બ્રિજ ઉપરના રોડનો મોટો હિસ્સો ધોવાઈ ગયો છે અને મોટો ખાડો પડી જતાં જૂનો બ્રિજ જોખમી બની ગયો છે. તેથી તેને અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જેને કારણે લીલાપોર, ભદેલી જગાલાલા, ભદેલી દેસાઈપાર્ટી સહિતનાં ગામોના શાળા-કોલેજમાં ભણતાં બાળકો, નોકરિયાતો, વેપારીઓ, પશુપાલકો, ખેડૂતો ઉપરાંત દર્દીઓ સહિતના રહીશોએ આશરે 10 કિ.મી.નો ચકરાવો લઈને અવરજવર કરવાની ફરજ પડી રહી છે.નવા ઊંચા બ્રિજની કામગીરી અટકી જતાં લોકો પરેશાન આ જૂના પુલની બાજુમાં જ નવો બ્રિજ બનાવાય રહ્યો છે. જેની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી નવા ઊંચા બ્રિજની કામગીરી અટકી જતાં લોકો પરેશાન થઈ ગયાં છે. મળતી વિગતો મુજબ બંદરરોડ પર આ બ્રિજનો એપ્રોચ રોડ બનાવવાનો છે એ જમીન પર કસ્ટમ ઓફિસનું મકાન તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની જમીન આવેલી છે. કસ્ટમ ઓફિસ વર્ષોથી બંધ છે અને મકાન પણ અત્યંત જર્જરિત થઈ ગયું છે. ગુજરાત મેરીટાઈમની ઓફિસ પણ બંધ છે. મળતી માહિતી મુજબ બ્રિજના એપ્રોચ રોડ માટે કસ્ટમ ઓફિસનું જૂનું જર્જરિત મકાન તોડવું પડે તેમ હોવાથી તેમની એન.ઓ.સી. કે ક્લિયરન્સની જરૂર છે તેમજ મેરીટાઈમ બોર્ડની જમીનની જરૂર છે. આ બંને સરકારી વિભાગોમાં વલસાડ મા. અને મ. વિભાગ દ્વારા ક્લિયરન્સ માટે ફાઈલ રજૂ કરી હતી, પરંતુ જડ તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય નહીં લેવાતાં હજારો લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
હયાત જૂના બ્રિજનું ભયંકર ધોવાણ થયું, બ્રિજના પિલરો જર્જરિત હાલતમાં છે. તેથી તેની મરામત થઈ શકે તેમ નહીં હોવાનું મા. મ. વિભાગના અધિકારી સ્વીકારી રહ્યા છે. ત્યારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કે જેઓ સાયકલ પર અવરજવર કરે છે તેઓ બંધ કરી દેવાયેલા જૂના બ્રિજના ધોવાણ થયેલા ભાગ પરથી જોખમ લઈને અવરજવર કરી રહ્યા છે. જેને કારણે મોટી હોનારતનો ભય ઊભો થયો છે.