અમદાવાદ કીડની હોસ્પિટલમાં સાધન ખરીદી કૌભાંડનો મુદ્દો ગૃહમાં ગાજ્યો હતો. કોંગ્રેસના શૈલેષ પરમારે આ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા એ જણાવ્યું કે, સાધન ખરીદી કૌભાંડ મામલે ચાર લોકોને પ્રાથમિક રિપોર્ટના આધારે સસ્પેન્ડ કરી દેવાયા છે. શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે જે ચારને સસ્પેન્ડ કરાયા એ તો નાના અધિકારી હતા.
વાસ્તવમાં સાધન ખરીદી કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ અને વ્યાપારીઓની મિલીભગત હતી. સરકારે મોટા મગરમચ્છો ને છોડી નાની માછલીઓનો ભોગ કેમ લીધો? હવે મગરમચ્છો સામે ક્યારે પગલા લેશો? જવાબમાં આરોગ્યમંત્રી એ સ્પષ્ટતા કરી હતી કે પ્રાથમિક રિપોર્ટના આધારે નીચેના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા જેથી તેઓ પુરાવા કે તપાસ સાથે ચેડા ના કરી શકે. કમિટી પુરાવા સાથેનો ડીટેલ રિપોર્ટ સોંપશે એટલે ઉચ્ચ અધિકારીઓ સામે પણ પગલા લઇશું.
તમે ભગીરથની વાત કરશો તો કોંગ્રેસ શાસ્ત્રોની વાત કરશે
ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના માવજી દેસાઈ એ તેમના વિસ્તાર અંગે પ્રશ્ન કરતા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જવાબ આપવા ઊભા થયા. જવાબમાં લાગુ પડતી હોય તે સિવાયની વાતથી શરૂઆત કરી લંબાણપૂર્વક જવાબ આપવા ટેવાયેલા કૌશિક વેકરિયાએ રાજા ભગીરથની વાતથી જવાબની શરૂઆત કરતા અધ્યક્ષે તેમને હળવા શબ્દોમાં અટકાવતા કહ્યું, તમે ભગીરથની વાત લાવશો તો તેઓ(વિપક્ષ) શાસ્ત્રોની વાત કરશે. જેથી કૌશિક વેકરિયાએ તરત જ મુદ્દાસર જવાબ શરૂ કર્યો હતો.
પ્રકાશ આવેના બદલે અજવાળું પથરાય એમ કહો
અધ્યક્ષ શંકર ચૌધરી મંત્રી કૌશિક વેકરિયાની શાબ્દિક ભૂલો સુધારતા જોવા મળ્યા હતા. પ્રથમ વખત મંત્રી બનેલા કૌશિક વેકરિયાનો અધ્યક્ષ શબ્દ ભંડોળ વધારતા નજરે પડ્યા હતા. ઉર્જા વિભાગના પ્રશ્નના જવાબમાં મંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું, "સરકારના પ્રયાસોના કારણે લોકોના ઘરમાં પ્રકાશ આવે છે" અધ્યક્ષે તરત જ અટકાવીને હળવાશથી કહ્યું, "પ્રકાશ આવે છે એના કરતા લોકોના ઘરના અજવાળું પથરાય છે એમ કહો તો વધુ સારું લાગશે"
ગૃહમાં વિપક્ષના સભ્યોની ગેરહાજરી મુદ્દે અધ્યક્ષે વધુ એક વખત ઠપકો આપ્યો
ગૃહમાં વિવિધ વિભાગોની માગણીઓ પર ચર્ચા અને મતદાન થતું હોય ત્યારે વિપક્ષના સભ્યો માગણીઓ સામે કાપ દરખાસ્ત રજૂ કરતા હોય છે. આ કાપ દરખાસ્ત રજૂ થતી હોય ત્યારે અને ઘણી વખત રજૂ થયા પછી વિપક્ષના સભ્યો કે જેમણે કાપ દરખાસ્ત રજૂ કરી હોય એ ગૃહમાં ચર્ચા સમયે હાજર રહેતા નથી. આ અંગે અધ્યક્ષે સત્ર દરમિયાન ત્રણેક વખત વિપક્ષને ટકોર કરી હતી અને તેમ છતાં આજે પણ વિપક્ષના સભ્યો ગેરહાજર રહેતા અધ્યક્ષે તાકીદ કરતા કહ્યું કે આ પ્રકારે કાપ દરખાસ્ત સમયે વિપક્ષના સભ્યોની ગેરહાજરી એ ગૃહમાં પરંપરા ના બની જાય, નહીંતર કાપ દરખાસ્ત સંદર્ભે પુનઃ વિચારણા કરવી પડે.