તારીખ ૦૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરના મધ્યમાં આવેલા પોરવાડ ફળિયામાંથી એક અત્યંત ચિંતાજનક અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. ફળિયામાં આવેલ ઘર નંબર ૧૩૯૫ વાળું મકાન હાલમાં અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. આ વર્ષો જૂનું મકાન ગમે તે ક્ષણે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં ઊભું છે, જેના કારણે સ્થાનિક રહીશો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ભયજનક મકાનને ઉતારી લેવા માટે આજથી બરાબર એક વર્ષ પહેલાં પોરવાડ ફળિયાના રહીશોએ કાલોલ નગરપાલિકાને લેખિતમાં વિગતવાર અરજી આપી હતી.
પરંતુ અત્યંત આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, આ અરજીને એક આખું વર્ષ વીતી ગયું હોવા છતાં આજ દિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા આ મકાન ઉતારવા અંગે કોઈ જ પ્રિલિમિનરી કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.માસૂમ બાળકો અને વાહનો પર મંજરાતું મોતનું જોખમ આ જર્જરિત મકાનની નીચે જ ફળિયાના નાના માસૂમ બાળકો દરરોજ ખેલકૂદ અને રમતગમત કરતા હોય છે. આ ઉપરાંત, આસપાસના રહીશો પોતાના વાહનો પણ ત્યાં પાર્ક કરે છે. મકાન એટલું જર્જરિત થઈ ગયું છે કે તેની ઉપરથી અવારનવાર ઈંટો, પતરાં અને કાટમાળ નીચે રસ્તા પર પડે છે, જેના કારણે નાની-મોટી ઈજાઓ થવાના બનાવો બની ચૂક્યા છે. જો આ આખું મકાન અચાનક ધરાશાયી થશે, તો નિર્દોષ બાળકોના જીવ જઈ શકે છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે.સ્થાનિકોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે હજુ હમણાં જ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જ ફતેપુરી ગામે એક જૂનું મકાન તૂટી પડવાના કારણે એક ૧૩ વર્ષની માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આટલી મોટી અને હૃદયદ્રાવક ઘટના નજીકમાં જ બની હોવા છતાં કાલોલ નગરપાલિકા અને મકાન માલિક હજુ સુધી કેમ એક્શન મોડમાં આવ્યા નથી? રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટશે અને કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશેઆ વ્યસ્ત રસ્તા પરથી કાલોલના અનેક નાગરિકો દિવસ-રાત અવરજવર કરે છે. ચોમાસાની ઋતુ નજીક હોય કે સામાન્ય દિવસો, આ મકાન ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. આ બાબતે પોરવાડ ફળિયા સહિત સમગ્ર કાલોલ નગરના રહીશોની ઉગ્ર માંગ છે કે સંબંધિત મકાન માલિક અને કાલોલ નગરપાલિકા તંત્ર તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લે, અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ભયજનક મકાનને વહેલી તકે ઉતારી લેવાની તજવીજ હાથ ધરે.

