Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જયપ્રકાશ એસોસિયેટ્સને હસ્તગત કરવાના મામલે અદાણીને મોટી રાહત, નેશનલ કંપની લો અપિલેટ ટ્રિબ્યુનલે વેદાંતાની અપીલો ફગાવી

જયપ્રકાશ એસોસિયેટ્સને હસ્તગત કરવાના મામલે અદાણીને મોટી રાહત, નેશનલ કંપની લો અપિલેટ ટ્રિબ્યુનલે વેદાંતાની અપીલો ફગાવી

  • ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા નહીં હોવાનું સ્પષ્ટ તારણ

નેશનલ કંપની લો અપિલેટ ટ્રિબ્યુનલે (NCLAT)એ વેદાંતા લિમિટેડની બે અપીલોને ફગાવી દીધી છે, જેમાં દેવામાં ડૂબેલી જયપ્રકાશ એસોસિયેટ્સ લિમિટેડ (JAL) માટે અદાણી એન્ટરપ્રાઇઝિસની બિડ પસંદ કરવાની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી.

ટ્રિબ્યુનલના ચેરપર્સન અશોક ભૂષણ અને ટેકનિકલ મેમ્બર બરુણ મિત્રાની બે સભ્યોની બેન્ચે જણાવ્યું કે અપિલકર્તા વેદાંતા દ્વારા એવો કોઈ આધાર રજૂ કરવામાં આવ્યો નથી જેના આધારે સંબંધિત ઓથોરિટીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરી શકાય.

ટ્રિબ્યુનલએ જણાવ્યું કે આ અપીલોમાં કોઈ આધાર નથી અને બંને અપીલોને ફગાવી દેવામાં આવે છે. અપિલેટ ટ્રિબ્યુનલના મુજબ, કમિટી ઓફ ક્રેડિટર્સનો (CoC) નિર્ણય સંબંધિત રિઝોલ્યુશન પ્લાનના સમગ્ર મૂલ્યાંકન પર આધારિત હતો અને તે તેમના વ્યાવસાયિક વિવેક પર લેવામાં આવ્યો હતો.

ટ્રિબ્યુનલે વધુમાં સ્પષ્ટ કર્યું કે રિઝોલ્યુશન પ્રક્રિયા ચલાવવામાં કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી. વેદાંતાએ તેની અપીલમાં મૂલ્યાંકન માપદંડો પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. વેદાંતાનો દાવો હતો કે તેની બિડ અદાણી ગ્રુપની સરખામણીમાં ગ્રોસ વેલ્યુમાં રૂપિયા 3,400 કરોડ વધુ હતી અને નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં (NPV) લગભગ રૂપિયા 500 કરોડ વધુ હતી.

આ દલીલને ફગાવતા ટ્રિબ્યુનલે કહ્યું કે CoC દ્વારા અદાણીના પ્લાનની સામે વેદાંતાના વધુ મૂલ્ય ધરાવતા પ્લાનને મંજૂરી ન આપવાનો નિર્ણય મનસ્વી કે ખોટો કહી શકાય નહીં.

આ પહેલાં 17 માર્ચે ટ્રિબ્યુનલે અલાહાબાદ બેન્ચે ઇન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ JALના અધિગ્રહણ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડની રૂપિયા 14,535 કરોડની બિડને મંજૂરી આપી હતી. આ જ નિર્ણયને વેદાંતાએ ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. એપેલેટ ટ્રિબ્યુનલએ વેદાંતા, રિઝોલ્યુશન પ્રોફેશનલ, CoC અને અદાણી એન્ટરપ્રાઇઝિસ સહિત તમામ પક્ષોને સાંભળ્યા બાદ 23 એપ્રિલે સુનાવણી પૂર્ણ કરી હતી.

તે પહેલાં 24 માર્ચે ટ્રિબ્યુનલે અદાણી ગ્રુપની બિડને સામે વેદાંતાની અપીલ પર કોઈ પણ ઇન્ટરિમ સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ટ્રિબ્યુનલએ કહ્યું હતું કે આ યોજના વેદાંતા ગ્રુપની અપીલોના અંતિમ પરિણામ પર નિર્ભર રહેશે.

આ ઇન્ટરિમ આદેશને વેદાંતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટએ નિર્દેશ આપ્યો હતો કે જો મોનિટરિંગ કમિટી કોઈ મોટો નીતિગત નિર્ણય લે, તો તેને પહેલા ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડશે. જેપી એસોસિએટ્સને હસ્તગત કરવાની દોડમાં અદાણી એન્ટરપ્રાઇઝિસે વેદાંતા અને દાલમિયા ગ્રુપને પાછળ છોડ્યા હતા. અદાણીને ક્રેડિટર્સના મહત્તમ 89 ટકા મત મળ્યા હતા, ત્યારબાદ દાલમિયા સિમેન્ટ ભારત અને વેદાંતા ગ્રુપનું સ્થાન હતું.

CoCએ પોતાના નિર્ણયનું સમર્થન કરતા જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના (તમામ નિયમો મુજબ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર સૌથી વધુ બિડ મૂકવાથી જ કોઈ બિડરને જીતવાનો હક્ક મળતો નથી. ક્રેડિટર્સના જણાવ્યા મુજબ, રિઝોલ્યુશન પ્લાનનું મૂલ્યાંકન માત્ર હેડલાઇન વેલ્યુ પર નહીં પરંતુ અપફ્રન્ટ કેશ, વ્યવહારિકતા અને એક્ઝિક્યુશન જેવા અનેક પરિબળો પર કરવામાં આવે છે.

JAL પાસે રિયલ એસ્ટેટ, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, હોસ્પિટાલિટી, પાવર અને એન્જિનિયરિંગ તથા કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં અનેક સંપત્તિઓ છે. રૂપિયા 57,185 કરોડના લોન ડિફોલ્ટ બાદ જૂન 2024માં તેને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસમાં (CIRP) દાખલ કરવામાં આવી હતી.

તેના મુખ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ગ્રેટર નોઈડામાં જેએપી ગ્રીન્સ, જેએપી ગ્રીન્સ વિશટાઉનનો અને જેએવર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલ જેએપી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સિટીનો સમાવેશ થાય છે. તે સિવાય દિલ્હી એનસીઆરમાં તેના ત્રણ કમર્શિયલ જમીનો અને દિલ્હી એનસીઆર, મસૂરી અને આગ્રામાં તેના પાંચ હોટેલ્સ પણ છે. કંપની પાસે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચાર સિમેન્ટ પ્લાન્ટ છે અને મધ્ય પ્રદેશમાં કેટલીક લીઝ પર લેવાયેલી ચૂનાપથ્થરની ખાણો પણ છે.

કંપીનનું જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડ, યમુના એક્સપ્રેસવે ટોલિંગ લિમિટેડ, જેએપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ સહિત અન્ય ઘણી સહાયક કંપનીઓમાં પણ રોકાણ છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vibes of India Gujarati