Dailyhunt
બારડોલીમાં ચાર વાગ્યા બાદ શરૂ થયું સ્વૈચ્છીક લોકડાઉન

બારડોલીમાં ચાર વાગ્યા બાદ શરૂ થયું સ્વૈચ્છીક લોકડાઉન

નવગુજરાત સમય,બારડોલી

બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નક્કી થયા મુજબ સોમવારે સાંજે 4 વાગ્યાથી તમામ દુકાનોના શટર પડવા લાગ્યા હતા. મોટા ભાગની દુકાનો બંધ થઈ જતાં માર્ગો પર પણ ટ્રાફિક ઓછું થઈ ગયું હતું. સ્વૈચ્છીક લોકડાઉનમાં વેપારીઓ પણ જાગૃત થઈને સાથ આપી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાના પ્રભાવને ઓછો કરવા માટે લોકડાઉન અને લોકોની સાવચેતી જ એક માર્ગ હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું હતું.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનલોક 1 બાદ અનલોક 2 શરૂ થતાંની સાથે જ કોરોનાના સંક્રમણમાં અચાનક ઉછાળો આવ્યો છે. દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે ખાસ કરીને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાને કારણે સ્થિતિ વકરી રહી છે.

આ માટે લોકડાઉન જ એક ઉપાય હોવાનું લગતા હવે શહેરો અને ગામડાઓ પણ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા છે. સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા હવે જે તે શહેરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જ વેપારીઓ ને દુકાનો અમુક સમય પછી બંધ રાખવાની સૂચના આપવામાં આવી રહી છે. બારડોલીમાં ગુજરાતમિત્રની ટકોર બાદ બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવારના રોજ તાત્કાલિક વેપારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સોમવારથી સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનું અને ત્યારબાદ સ્વયંભુ લોક ડાઉનનો અમલ કરવાનું વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.

જે મુજબ સોમવારે પ્રથમ દિવસે સાંજે 4ના ટકોરે તમામ દુકાનોના શટર પડવા લાગ્યા હતા. ચાર વાગ્યા પછી દુકાનો અને બજાર બંધ થતાં શહેરના માર્ગો પર ટ્રાફિક પણ ઓછો જોવા મળ્યો હતો. સાથે જ લોકોની અવરજવર પર પણ નિયંત્રણ આવી ગયું હતું. આ સ્વૈચ્છીક લોકડાઉન 31મી જુલાઈ સુધી લાગુ રહેશે. આ લોકડાઉનમાંથી દૂધ જેવી જરૂરિયાતમંદ ચીજવસ્તુઓ અને મેડિકલ સ્ટોરને બાકાત રાખવામાં આવી છે. જો કે સ્વૈચ્છીક લોકડાઉન હોય કેટલીક દુકાનદારો આરોગ્યની જગ્યાએ પોતાના ધંધાને પ્રાધન્ય આપતા જોવા મળ્યા હતા. જેની સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay