એજન્સી, કોલંબો
સદીવીર સોનલ દિનુશાની અદમ્ય ઇચ્છાશક્તિના બળે તેણે અણનમ 133 રનની ઇનિંગ્સ રમીને ગુરુવારે શ્રીલંકાને બીજી ક્રિકેટ ટેસ્ટમાં પરાજયમાંથી ઉગારી લીધું હતું અને 2-0થી સિરીઝ જીતવાના ભારતના અરમાન પર પાણી ફેરવી દીધું હતું. હકીકતમાં ભારતને હવામાનનો ડર હતો પરંતુ તેને બદલે શ્રીલંકાની અંતિમ ચાર વિકેટોએ જોરદાર લડત આપીને દિવસની રમત ખેંચી કાઢી હતી અને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું.
સતત બોલિંગ કરતા ભારતીય બોલરો, પાંચમા દિવસની પિચ અને ફોલોઓનનો થાક આ બધું જ ઝીલીને શ્રીલંકાએ ગુરુવારે અહીં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં યાદગાર ડ્રો હાંસલ કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતે હરીફ ટીમને ફોલઓન કરી હોય તેવા તમામ કિસ્સામાં તેનો વિજય થયો હતો પરંતુ આ પહેલી વાર હતું જ્યારે તે મેચ જીતી શક્યું ન હતું. ભારતે ગોલ ખાતેની પ્રથમ ટેસ્ટમાં 165 રનથી જીતી હતી અને આ સાથે તેણે 1-0થી બે મેચની સિરીઝ જીતી લીધી હતી. જોકે એસએસસી ગ્રાઉન્ડ પર શ્રીલંકાએ જે રીતે વળતો પ્રહાર કર્યો તેના પર તેઓ ગર્વ કરી શકે છે.
420 મિનિટ સુધી રમતમાં રહીને 264 બોલનો સામનો કરનારો દિનુશા શ્રીલંકાનો 'સુપરમેન' બની રહ્યો હતો. તેણે આ સિરીઝમાં પોતાની ત્રીજી સદી નોંધાવી હતી, . આ સિરીઝની ચાર ઇનિંગ્સમાં ચોથો 50+ સ્કોર પણ હતો. દિનુશાએ બે મેચ દરમિયાન કુલ 722 બોલ રમીને 1139 મિનિટ બેટિંગ કરી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો તો ભારતના દેવદત્ત પડિક્કલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. 25 વર્ષનો આ ખેલાડી પોતાની ટીમ ફોલોઓન થઈ હોય તેવી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં સદી ફટકારનારો વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. આ સાથે તે ભારતના વિજય હઝારે અને ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરની એલિટ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
શ્રીલંકા પોતાની બીજી ઇનિંગ્સ નવ વિકેટે 429 રને ડિકલેર કરીને 216 રનની કુલ સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું અને તે જ સમયે ખેલાડીઓએ હાથ મિલાવીને મેચ ડ્રો થયાનો સંકેત આપ્યો હતો. પરંતુ દિવસની શરૂઆતમાં પરિસ્થિતિ સાવ અલગ હતી જ્યારે શ્રીલંકાએ છ વિકેટે 229 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું, જે ભારત કરતાં માત્ર 16 રન જ આગળ હતું. એવું લાગતું હતું કે યજમાન ટીમ ટૂંક સમયમાં જ ઘૂંટણ ટેકવી દેશે. પરંતુ તેનાથી વિપરીત બન્યું, કારણ કે ભારતીય બોલરોએ હરીફ બેટ્સમેનો - 196 બોલમાં સદી પૂરી કરનારા દિનુશા અને કેશારા નુવાંથા (46 રન, 150 બોલ)ના મનોબળ આગળ સમર્પણ કરવું પડ્યું હતું.
બંનેએ સાતમી વિકેટ માટે 246 બોલમાં 112 રન ઉમેર્યા હતા, જેને કારણે શ્રીલંકાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના પ્રથમ સત્ર સુરક્ષિત રીતે પૂરું કર્યું હતું. પરંતુ લંચ પછીના પ્રારંભિક સમયગાળામાં ભારતને ખુશીની એક દુર્લભ ક્ષણ મળી, જ્યારે માનવ સુથારે નુવાંથાને આઉટ કર્યો, જેનો કેચ સ્લીપમાં ધ્રુવ જુરેલે સરળતાથી ઝડપી લીધો હતો. ત્યારબાદ શ્રીલંકાએ દિનુશા અને પ્રભાત જયસૂર્યા (બે રન) દ્વારા નાના પાયે લડત આપી હતી. આઠમી વિકેટની જોડીએ માત્ર 25 રન ઉમેર્યા હતા પરંતુ તેના માટે 74 બોલ લીધા હતા, જેનાથી સમય વધુ વીતતો ગયો. રવીન્દ્ર જાડેજાએ જયસૂર્યાને આઉટ કરીને વધુ એક સફળતા અપાવી, જેમાં બેટ્સમેન બીજી સ્લીપમાં જુરેલના હાથમાં કેચ ગયો. પરંતુ ભારતીય બોલરો સામે વધુ એક અડગ બેટ્સમેન આવ્યો હતો. લાહિરુ કુમારા (1 રન, 122 મિનિટ, 90 બોલ). જેની સાથે દિનુશાએ 47 રન ઉમેર્યા પરંતુ 170 બોલ રમીને ભારતીયોના હૃદયમાંથી જીતની આશા પૂરી કરી દીધી. કુમારા જાડેજાનો શિકાર બન્યો પરંતુ અસિથા ફર્નાન્ડો (00 અણનમ, 24 બોલ) અંત સુધી દિનુશા સાથે ટકી રહ્યો અને સુનિશ્ચિત કર્યું કે મેચનું એકમાત્ર શક્ય પરિણામ ડ્રોજ રહે.

