નવગુજરાત સમય , અમદાવાદ
ગુજરાતમાં રહીનેે ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFP સાથે સુદીર્ઘ કારકિર્દી દરમિયાન અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓનું કવરેજ કરનાર તસવીરકાર સામ પંથકીનું 68 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મંગળવારે સાંજે અવસાન થયું હતું. સામ પંથકીના નિધનના સમાચાર વહેતા થતાં મીડિયા જગત અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
અમદાવાદને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો ત્યારે શહેરની અનેકવિધ ઐતિહાસિક વિરાસતની તેમની તસવીરો આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત થઈ હતી. ગુજરાતના ભૂકંપથી માંડીને ગત વર્ષે જૂનમાં એર ઈન્ડિયા પ્લેન્સ ક્રેશ સુધી રાજકારણ, સાંસ્કૃતિક, ધાર્મિક, કુદરતી આફતો અને સામાજિક મુદ્દાઓનું કવરેજ તથા દસ્તાવેજીકરણ કરવામાં તેઓ માહેર હતા. તેમની તસવીરો વિશ્વભરમાં AFP અને ગેટી ઈમેજિસમાં પ્રકાશિત થઈ છે. સામ પંથકીઅે નશ્વરદેહનો ત્યાગ કર્યો છે પરંતુ તસવીરો દ્વારા તેમની યાદ હંમેશા જીવંત રહેશે. સદગતના અવસાન બાદ તેમની અંતિમયાત્રા પહેલા પત્રકારો, તસવીરકારો અને તેમના ચાહકો- શુભેચ્છકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

