નવગુજરાત સમય, પાલનપુર
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તથા એસ.ઓ.જી.ના પીઆઈ ડી. એમ. રાઠોડના માર્ગદર્શન અને સૂચના મુજબ, એસ.ઓ.જી. દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સુરક્ષાના ભાગરૂપે પાલનપુર ખાતે આવેલા 'મજલીસે દાવતુલ હક મદરેસા' તેમજ ગઠામણ ખાતે આવેલ 'જામિયા નૂરુલ ઉલૂમ મદરેસા'માં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ મુલાકાત દરમિયાન એસઓજી PSI જે.જે.
સરવૈયા અને તેમની ટીમ દ્વારા મદરેસાના સંચાલકો અને બાળકો સાથે ખૂબ જ સકારાત્મક માહોલમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોઈ અસામાજિક કે રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા નિર્દોષ બાળકોનું બ્રેઈનવોશ કરીને તેમને કટ્ટરપંથી કે રેડિકલ પ્રવૃત્તિઓ તરફ ન ધકેલે, તે બાબતે બાળકો અને સંચાલકોને માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા.બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે, ધર્મના જ્ઞાન સાથે-સાથે સરકાર દ્વારા ચલાવવામાં આવતા શૈક્ષણિક અભ્યાસક્રમોને પણ ચાલુ રાખવા અત્યંત જરૂરી છે. ડિજિટલ યુગમાં દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે સરકારની વિવિધ શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલને મદરેસાના સંચાલકો, મૌલવીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

