નવગુજરાત સમય , અમદાવાદ
દેશભરમાં લેવાતી વિવિધ જાહેર પરીક્ષાઓના આયોજન અને સંચાલનમાં સુરક્ષા, પારદર્શિતા તેમજ વિશ્વસનીયતા વધારવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલી કવાયતના ભાગરૂપે ગુજરાતમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની ભલામણોના સંદર્ભમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ આચાર્યો પાસેથી પરીક્ષા પદ્ધતિ સુધારણા અંગે અભિપ્રાયો મગાવવામાં આવ્યા છે.
બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવીને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના તાબા હેઠળની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો સુધી પ્રશ્નાવલી પહોંચાડે અને નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઇન પ્રતિભાવો ભરાવે. ભારત સરકારે 27 જુલાઈ 2026ના રોજ આ ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જે પરીક્ષાર્થીઓના અનુભવ સહિત સંસ્થાકીય વ્યવસ્થા અને આયોજનના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આ સંદર્ભે 1 સપ્ટેમ્બર 2026ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, ગૃહ વિભાગના અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશકો (DGP) અને શિક્ષણ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય પરામર્શ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા બોર્ડ અને ઓપન સ્કૂલિંગ બોર્ડ પાસેથી પરીક્ષાઓની પદ્ધતિ અને તેના સ્વરૂપ અંગે ચોક્કસ પ્રશ્નો પર અભિપ્રાય મેળવવાનું નક્કી કરાયું છે. શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આચાર્યોના અભિપ્રાયો એકત્રિત કરી તેનું યોગ્ય વિશ્લેષણ કરી શકાય તે માટે એક ખાસ પ્રશ્નાવલી તૈયાર કરી ગૂગલ ફોર્મ લિંક મારફતે મોકલવામાં આવી છે. જેમાં આચાર્યોએ 8 સપ્ટેમ્બર સુધીમાં પોતાના અભિપ્રાય આપવાના રહેશે. આ વિશ્લેષણના આધારે આગામી દિવસોમાં જાહેર અને બોર્ડ પરીક્ષાઓની પદ્ધતિમાં સુધારા અર્થે મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.

