નવગુજરાત સમય, રાજકોટ
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત 'વિરાસતથી વિકાસ લોકમેળા - ૨૦૨૬'નું આજે મહાનગરપાલિકાના સફાઈ કર્મી ગલાલબેન મકવાણાના હસ્તે, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લોકમેળાના ઉદઘાટન પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોનું સ્વાગત કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ.
ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનથી મેળાનું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના સફાઈકર્મી બહેન દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળામાં લોકોની સુખાકારી તેમજ સલામતી માટે પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ભીડ વ્યવસ્થા તથા સર્વેલન્સ માટે રિયલ ટાઈમ એ.આઈ. બેઝ્ડ ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોન સહિતની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં આ વર્ષે ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર, બે નવા ડિઝાસ્ટર રૂટ, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ૧૫૦ ફાયર જવાનો તૈનાત રહેશે અને રૂ. ૧૦ કરોડનો લાયેબિલિટી ઈન્સ્યોરન્સ પણ લેવાયો છે. સ્વચ્છતા જાળવવા ૨૯૦ સફાઈ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક કામ કરશે તેમજ મેળો પૂર્ણ થયા બાદ પણ તા. ૭ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ૧૨૦ કર્મચારીઓ સમગ્ર ગ્રાઉન્ડની સઘન સફાઈ કરશે. આ સાથે જ કલેક્ટરએ મેળાની મુલાકાતે આવતા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને ડિઝાસ્ટર રૂટ પર સાવધાની રાખવા અનુરોધ કર્યો હતો. આ તકે કલેક્ટરશ્રી વર્ષ ૧૯૮૩થી વર્ષ ૨૦૨૬ સુધીની રાજકોટના લોકમેળાની યાત્રા વર્ણવી હતી.
કલેક્ટરે ઉમેર્યું હતું કે, લોકમેળાની આવકમાંથી ૨૫ ટકા રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવે છે, જે અંતર્ગત છેલ્લા ૨૦ વર્ષમાં અંદાજે રૂ. ૫.૬૬ કરોડથી વધુની રકમ રાહતફંડમાં જમા કરાવવામાં આવી છે. કલેક્ટરશ્રી લોકમેળાનો ઉત્સાહભેર આનંદ માણવા નાગરિકોને નિમંત્રણ પાઠવ્યું હતું.

